AHEMDABAD NEWS : ગયા વર્ષે જૂન મહિનામાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સર્જાયેલી એર ઇન્ડિયાના વિમાનની ભયાનક દુર્ઘટના મામલે એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. અમદાવાદથી લંડન ગેટવિક માટે ઉડેલી ફ્લાઈટ AI-171 (બોઇંગ 787-8 ડ્રીમલાઇનર)ના ક્રેશ અંગે અત્યાર સુધી પાઇલટની ભૂલ હોવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ, અકસ્માતના એક વર્ષ બાદ બી. જે. મેડિકલ કોલેજના ગુપ્ત દસ્તાવેજો, કૉકપિટ વોઈસ રેકોર્ડની વિગતો અને પ્રત્યક્ષદર્શીઓના દાવાએ તપાસનો આખો રૂખ બદલી નાખ્યો છે, જે સંકેત આપે છે કે કેપ્ટન સુમીત સભરવાલ વાસ્તવમાં વિલન નહીં પણ ‘હીરો’ હતા.
અંતિમ ક્ષણ સુધી સ્ટીયરીંગ પર જકડાયેલા હતા કેપ્ટનના હાથ
દુર્ઘટનામાં પોતાના પરિવારના સભ્યો ગુમાવનાર પ્રત્યક્ષદર્શી રોમિન વોહરા અને બી. જે. મેડિકલ કોલેજના ડૉક્ટરોના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જ્યારે કેપ્ટન સુમીત સભરવાલનો મૃતદેહ વ્હીલચેર પર લાવવામાં આવ્યો ત્યારે તે બેઠેલી મુદ્રામાં જ અકડાઈ ગયો હતો. તેમના બંને હાથ વિમાનના કંટ્રોલ હેન્ડલ (સ્ટીયરીંગ) પર મજબૂતાઈથી જકડાયેલા હતા. સિનિયર પાઇલટોના મતે, મૃતદેહની આ સ્થિતિ સ્પષ્ટપણે સાબિત કરે છે કે કેપ્ટન સુમીત સભરવાલે છેલ્લી સેકન્ડ સુધી મુસાફરોના જીવ બચાવવા અને પ્લેનને ક્રેશ થતું રોકવા માટે લોહીપાણી એક કર્યા હતા અને તેઓ કોઈ અણધારી મોટી સિસ્ટમ ફેલ્યોર સામે લડી રહ્યા હતા.

કૉકપિટની રહસ્યમય વાતચીત: “તેં એન્જિન બંધ કેમ કર્યું?”
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના પ્રારંભિક રિપોર્ટ અને કૉકપિટ વોઈસ રેકોર્ડરમાંથી સામે આવેલી વિગતો વધુ ચોંકાવનારી છે. ટેક-ઓફની ગણતરીની સેકન્ડોમાં જ વિમાનની બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અચાનક ‘કટ-ઓફ’ (બંધ) થઈ ગઈ હતી. ક્રેશ થવાની બરાબર પહેલા કેપ્ટન સુમીતે કો-પાઇલટને પૂછ્યું હતું કે, “તેં એન્જિન કટ-ઓફ કેમ કર્યું?” જેના જવાબમાં હેબતાઈ ગયેલા કો-પાઇલટે કહ્યું હતું, “મેં એવું નથી કર્યું!” આ ઓડિયો રેકોર્ડિંગ સાબિત કરે છે કે કૉકપિટમાં કોઈ માનવીય ભૂલ નહોતી થઈ.
ટેકનિકલ ખામી કે શોર્ટ સર્કિટ?
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ અને અમેરિકન સુરક્ષા એજન્સીઓના પ્રાથમિક તારણો મુજબ, વિમાનની લિથિયમ બેટરી અથવા મુખ્ય ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગંભીર શોર્ટ સર્કિટ થવાને કારણે ફ્યુઅલ સ્વીચો ઓટોમેટિક બંધ થઈ ગઈ હોવાની પ્રબળ આશંકા છે. આ ભયાનક દુર્ઘટનામાં 260 થી 274 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું, જ્યારે વિશ્વાસ કુમાર રમેશ નામના માત્ર એક જ મુસાફરનો જીવ બચ્યો હતો.

આ નવા ખુલાસાઓએ એરલાઇન્સ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી છે. હવે આખી એવિએશન ઇન્ડસ્ટ્રીની નજર આ દુર્ઘટનાના ઓફિશિયલ ફાઇનલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ પર ટકેલી છે, જેથી વિમાનની આ ટેકનિકલ ખામી પાછળનું અસલી કારણ સત્તાવાર રીતે દુનિયા સામે આવી શકે.




