Gujarat Ni Vaat

મેઘરજ મામલતદાર કચેરીનો ભ્રષ્ટ તલાટી ઝડપાયો: વારસાઈ એન્ટ્રી માટે માંગી હતી ₹5,000ની લાંચ!

Share On :

Aravalli news : સરકારી કામ માટે લાંચ માંગનારાઓ હવે બચી શકશે નહીં. અરવલ્લી એસીબીએ મેઘરજ પંથકમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો ખુલ્લો પાડ્યો છે. વડિલોપાર્જિત જમીનમાં નામ દાખલ કરવા જેવી સામાન્ય પ્રક્રિયા માટે ₹૫,૦૦૦ની માંગણી કરનાર તલાટી વર્ગ-૩ને એસીબીની ટીમે પંચાયત કચેરીમાંથી જ દબોચી લીધો છે. જાણો કેવી રીતે એક જાગૃત નાગરિકે લાંચ આપવાને બદલે એસીબીનો સહારો લઈ ભ્રષ્ટ તલાટીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો.

આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક છે. ફરિયાદીના પિતાના અવસાન બાદ તેમની વડિલોપાર્જિત જમીનમાં ફરિયાદી તથા તેમની બહેનોના નામ વારસાઈ તરીકે ખાતામાં દાખલ કરવાના હતા. આ સરકારી કામગીરી પૂર્ણ કરવાના અવેજ પેટે આરોપી ગુમાનસિંહ ભુપેન્દ્રસિંહ વાઘેલા (રેવન્યુ તલાટી, વર્ગ-3, મેઘરજ) એ ફરિયાદી પાસે 5000/- ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે અરવલ્લી એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મુડશી ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાં સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને રંગેહાથ ઝડપી લીધા હતા. લાંચની રકમ સ્થળ પરથી રિકવર કરવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.