Gujarat Ni Vaat

જાણીતા પંડવાની ગાયિકા પદ્મવિભૂષણ તીજન બાઈનું નિધન, રાયપુર AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

Share On :

Teejan Bai Passes Away: ભારતીય લોક કલા અને સાંસ્કૃતિક જગતમાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. દેશના પ્રખ્યાત પંડવાની ગાયિકા અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત ડૉ. તીજન બાઈનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. રાયપુર સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના પીઆરઓ દ્વારા આ દુખદ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. તેમની વિદાયથી છત્તીસગઢ સહિત સમગ્ર દેશના સાંસ્કૃતિક અને કલાત્મક સમુદાયોમાં ઊંડા શોકની લહેર ફેલાઈ ગઈ છે.

AIIMS રાયપુરમાં લીધા અંતિમ શ્વાસ

મળતી માહિતી અનુસાર, તીજન બાઈ છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર બીમારીના કારણે રાયપુર AIIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે, ૫ જુલાઈના રોજ વહેલી સવારે 3:15 વાગ્યે અચાનક તેમની તબિયત વધુ બગડી હતી અને સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

રૂઢિચુસ્ત પરંપરાઓને પડકારી વૈશ્વિક મંચ સુધીનો સંઘર્ષ

વર્ષ 1956માં છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ગનિયારી ગામમાં જન્મેલા તીજન બાઈનું જીવન સંઘર્ષ, દ્રઢ સંકલ્પ અને નારી શક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. તે સમયના રૂઢિચુસ્ત સામાજિક રીતિ-રિવાજો અને પરંપરાઓને પડકારીને તેમણે ‘પંડવાની’ (મહાભારતની પરંપરાગત કથાઓને સંગીતમય શૈલીમાં રજૂ કરવાની કલા) ક્ષેત્રે પગ મૂક્યો હતો. તેમણે આ કલાને માત્ર જીવંત જ ન રાખી, પરંતુ પુરુષપ્રધાન ગણાતી આ શૈલીમાં પોતાની અનોખી છાપ છોડીને તેને વૈશ્વિક મંચ સુધી પહોંચાડી ભારતનું ગૌરવ વધાર્યું હતું.

દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોથી વિભૂષિત

લોક કલા ક્ષેત્રે તેમના અજોડ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને દેશના ત્રણેય સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તીજન બાઈના નિધન પર દેશના પ્રમુખ રાજકીય નેતાઓ, કલાકારો અને સાહિત્યકારોએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.