DWARKA NEWS: દ્વારકાના જગપ્રસિદ્ધ અને બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ શિવરાજપુર બીચની મુલાકાતે જતા પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શિવરાજપુર બીચના કુદરતી પર્યાવરણની જાળવણી અને સુરક્ષાના હેતુથી તંત્ર દ્વારા આગામી 23 જુલાઈ સુધી બીચ વિસ્તાર અને તેની આસપાસના ચોક્કસ અંતરમાં વાહનો ચલાવવા તેમજ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પ્રવાસીઓનો પ્રવાસ ન બગડે તે માટે આ નિયમો જાણી લેવા અનિવાર્ય છે.
જાહેરનામા અનુસાર, શિવરાજપુર બીચના મોસ્ટ પ્રાઇમ સમગ્ર બીચ વિસ્તારમાં 5 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારના જાહેર કે ખાનગી વાહનો ચલાવવા પર અથવા તેના ઉપયોગ પર તારીખ 23 જુલાઈ સુધી સદંતર રોક લગાવી દેવામાં આવી છે. બીચની શાંતિ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ કડક પગલું લેવાયું છે.શિવરાજપુર બીચ પોતાની સ્વચ્છતા માટે દેશ-વિદેશમાં જાણીતો છે. આ ગરિમા જળવાઈ રહે તે માટે વાહનો ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ પર પણ કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વેકેશન કે વીકેન્ડની રજાઓમાં દ્વારકા અને શિવરાજપુર બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરતા ઝડપાશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડ વસૂલવામાં આવશે. આથી, પ્રવાસીઓને નમ્ર અપીલ છે કે તેઓ પોતાના વાહનો નિર્ધારિત પાર્કિંગ સ્થળે જ પાર્ક કરે અને બીચ પર પગપાળા જઈને કુદરતી સૌંદર્યની મજા માણે, જેથી કોઈ કાયદાકીય મુશ્કેલી ઊભી ન થાય.




